ઉર્વશી રાદડીયા ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખુબ જ જાણીતું નામ છે. તેઓ ફોક સિંગર અને ક્લાસિકલ સિંગર તરીકે ઘણા વર્ષોથી ગુજરાતી કલા જગતને મોહિત કરતાં રહ્યાં છે તેમની ગાયકીને ગુજરાતની સંગીત પ્રિય જનતાએ ભારો ભાર વધાવી છે. ગુજરાતી ગાયકોમાં મોખરેનાં કલાકારોમાં તેમનું સ્થાન ખુબ જ લોકપ્રિય રહ્યું છે. ઘણા વર્ષોની તેમની સંગીત સાધના વિશે ધ ફૂટેજ સાથેની આ મુલાકાતમાં તેમનાં વ્યક્તિત્વ અને અનુભવ વિશે જાણીશું.
ઉર્વશી રાદડીયાનું મુળ વતન અમરેલી જિલ્લાનું સાજીયાવદર છે અને તેમનું મોસાળ અમરાપુર છે. પણ તેમનો ઉછેર અને અભ્યાસ અમદાવાદમાં થયો છે. તેમણે બિકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનું સપનું આઇએએસ ઓફિસર બનવાનું હતું. તેમનાં માતાપિતા તે સમયે સ્ટેજ શો કરતાં અને તેમના દાદા પણ ભજનીક તરીકે સેવાઓ આપતાં આ રીતે ઉર્વશીબેનને સંગીત વારસા મળ્યું છે. તેઓએ છ વર્ષની ઉંમરે ક્લાસિકલ મ્યુઝિકની ત્રણ વર્ષ તાલીમ પણ લિધેલી છે. તેઓ સંગીત ક્ષેત્રમાં વિશારદ થવાં ઇચ્છતાં હતાં પરંતુ દસમાં ધોરણની એક્ઝામનાં કારણે આગળ વધી ન શક્યા. તેઓએ પાંચ વર્ષની ઉંમરથી ગાવાની સફર શરૂ કરી હતી જે આજ સુધી સંગીતનાં સુર રેલાવી રહી છે. આપણે ઘણીવાર વિચારતાં હોઇએ કે જે તે વ્યક્તિ કેવી રીતે સફળ થઇ હશે તો આ એ જ ઉદાહરણ છે કે, કોઇ ફિલ્ડમાં આગળ વધવા ઘણા વર્ષોની મહેનત અને ધીરજ કામે લાગતી હોય છે. ઉર્વશી રાદડીયા ડાયરાઓમાં ખુબ ગાય છે.
જેઓને ક્વિન ઓફ ગુજરાતી ફોક, જુનિયર આબિદા પરવિન, કાઠિયાવાડી કોયલ જેવા શિર્ષકોથી નવાજવામાં આવે છે. આ બધા જ ટાઇટલ પોતાનાં શ્રોતાઓ તરફથી મળેલ છે જે ખુબ જ અદભુત વાત છે. કોઇ કલાકાર માટે આ એવોર્ડથી પણ વધારે મુલ્યવાન ભેટ છે. તેઓ સુફી સંગીતમાં ખુબ જ જાણીતા થયાં છે. જેમણે ગરબાથી શરૂઆત કરી હતી તે સાથે તેઓ બધુ જ ગાય છે. આ ક્ષેત્રમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સક્રિય છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે અને હિન્દીમાં ઇન્ડિયન આઈડલ જેવા ખ્યાતનામ શો ઓફર થઇ ચુક્યાં છે.
ઉર્વશીબેન સંગીતને સાધના કહે છે, તેઓ કહે છે કે આ ક્ષેત્રમાં ખુબ જ ધીરજ અને ડેડીકેશન જોઇએ. અત્યારનાં કપરા સમયમાં અને લોકડાઉન વખતે તેમણે સોશિયલ મીડિયા પર અત્યાર સુધી પાંત્રીસેક જેટલા લાઇવ સેશન કર્યા અને તેમા આખા ભારતમાંથી અનેક નામી કલાકારો જોડાયાં, જેમાં માસ્ટર સલીમથી લઇને ઇન્ડિયન આઈડલનાં ઘણાં વિનર સામેલ થયાં હતાં. તે માટે તેઓ કહે છે કે, આ ઘણો કપરો સમય છે પણ આ સમય મારા માટે ખુબ મહત્વનો રહ્યો છે મે આ સમયની હરેક મિનિટનો સદઉપયોગ કર્યો છે. આ લાઇવ સેશનથી લોકોને કલાકારોની લાઇફ વિશે ઘણું જાણવા મળ્યું. તે સાથે મને પણ ઘણું શિખવા મળ્યું છે. એક કલાકાર તરીકે અને ખાસ ડાયરાઓની લાઇવ ઓડિયંસને ઘણું યાદ કરીએ છીએ પણ હમણાં તો થોડા મહિનાએ શક્ય નથી લાગતું અને એ શરૂ થશે એ બાબતે હું ખુબ જ ઉત્સાહિત છું.
પોતાનાં જીવનમાં હરેક કામ માટે તેઓ ખુબ જ ડેડિકેટ રહ્યાં છે. તેઓ કહે છે કે, કોઇપણ કામ કરવા પાછળ જો જુનુન હોય તો ચોક્કસ સફળ થઇ શકાય છે. તેમનાં પપ્પાનો સિઝનલ બિસનેસ હતો. તેઓએ ખુબ નાના નાના સિઝનલ કામો કર્યા છે ને અત્યારે આટલી નામનાં મેળવી છે તેની પાછળ ખુબ મહેનત અને જુનુન જવાબદાર છે. એટલે પોતાનાં ચાહકોને તેમનો આ જ મેસેજ છે કે, કોઇપણ કામ પાછળ ખુબ ડેડીકેશન આપવું જોઇએ. આ સમય ખુબ ખરાબ ચાલી રહ્યો છે પણ પોઝિટિવ રહેવાની સાથે આ સમયમાંથી આપણે કંઇક શિખ લેવાની જરૂર છે.
તેઓ ફોક મ્યુઝિક અને ડાયરાઓ વિશે કહે છે કે, સંગીતએ સાધના છે, સ્વર એ ઇશ્વર સુધી પહોંચવાનો સિધો રસ્તો છે. સમય બદલાયો છે પણ વર્ષો જુના લખાયેલા ભજનો હજુ પણ ગવાય છે. ચોક્કસ તેને સમયને અનુરૂપ નવા સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રયાસ હું ચોક્કસ કરૂ છું. શબ્દ બ્રહ્મ છે અને તેમાં ખુબ જ તાકાત હોય છે. તેની ઘણી અસર આપણાં જીવન પર પડતી હોય છે. સમય સાથે ઘણું ઇનોવેટિવ કરવું પડે પણ આપણો જે વારસો છે એને ભુલી શકાય તેમ નથી. તેમને સાથે લઇને ચાલવું જોઇએ એવું તેમનું માનવું છે.
ધ ફુટેજ વિશે તેઓ કહે છે કે, અહિં છપાયેલ ઘણાં વ્યક્તિઓ ખરેખર પ્રસિધ્ધીને લાયક છે આ ખુબ જ સારું કાર્ય છે કે ગુજરાતી કલાકારોને અહિં સ્થાન મળે છે. તો એક કલાકાર તરીકે પણ અને એક સામાન્ય નાગરિક તરીકે આપનો આભાર પ્રગટ કરૂં છું.