રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્ગજ ડિરેક્ટર અભિષેક શાહ અને સાજિદ નાડિયાડવાલા વચ્ચે મહત્ત્વપૂર્ણ જોડાણ; ૧ મેના રોજ ફિલ્મ થશે રિલીઝ
અમદાવાદ: ગુજરાતી સિનેમા (ઢોલિવૂડ) અત્યારે પરિવર્તનના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ કડીમાં સૌથી મોટા સમાચાર અમદાવાદના ફિલ્મ સર્કલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ‘હેલ્લારો’ જેવી ક્લાસિક ફિલ્મ આપનાર નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ હવે તેમની આગામી ફિલ્મ ‘ધબકારો‘ સાથે દર્શકોનું મનોરંજન કરવા સજ્જ છે. આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત એ છે કે, બોલિવૂડના ખ્યાતનામ પ્રોડક્શન હાઉસ ‘નાડિયાડવાલા ગ્રાન્ડસન‘ એ આ ફિલ્મ દ્વારા પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું છે.
Lorem ipsum dolor sit amet
સ્ટાર કાસ્ટ અને વિષયવસ્તુ ‘ધબકારો’ એક પારિવારિક અને હળવી શૈલીની કોમેડી ફિલ્મ હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં ગુજરાતી થિયેટર અને સિનેમાના માંધાતા એવા દેવેન ભોજાણી લાંબા સમય બાદ મોટા પડદે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ‘છેલ્લો દિવસ’ ફેમ આર્જવ ત્રિવેદી પણ મહત્વના પાત્રમાં નજર આવશે. આ જોડી અને અભિષેક શાહનું નિર્દેશન પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ જગાડી રહ્યું છે.
રિલીઝ ડેટ અને પ્રમોશન ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મની રિલીઝ માટે ૧ મે, ૨૦૨૬ એટલે કે ‘ગુજરાત સ્થાપના દિવસ‘ ની વિશેષ પસંદગી કરી છે. અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફિલ્મના પ્રમોશનલ કેમ્પેઈન વેગવંતા બન્યા છે. સોશિયલ મીડિયાથી લઈને શહેરના મુખ્ય હોર્ડિંગ્સ પર ફિલ્મની ઝલક જોવા મળી રહી છે.
ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ માત્ર ‘ધબકારો’ જ નહીં, પરંતુ એપ્રિલના અંતમાં એટલે કે ૨૪ એપ્રિલના રોજ રિલીઝ થનારી જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા સ્ટારર થ્રિલર ફિલ્મ ‘બહેરુપિયો‘ ને લઈને પણ સિનેમા જગતમાં ભારે ગજગજાટ છે. એક તરફ સસ્પેન્સ થ્રિલર અને બીજી તરફ શુદ્ધ પારિવારિક કોમેડી—આ બંને ફિલ્મોના કારણે આગામી વેકેશન સીઝનમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કરોડોના બિઝનેસની આશા સેવાઈ રહી છે. ગુજરાતી સિનેમામાં કોર્પોરેટ ગૃહો અને બોલિવૂડના મોટા બેનર્સનું આગમન એ પ્રાદેશિક ભાષાની ફિલ્મો માટે નવી ક્ષિતિજો ખોલશે તેમ ફિલ્મ વિવેચકોનું માનવું છે.